ધોરણ 3 થી 8 માં ત્રિમાસિક કસોટી અને સત્રાંત પરીક્ષાના આયોજન બાબત
ત્રિમાસિક કસોટી 2025:
વર્ષ-2018થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં સામયિક મૂલ્યાંકન કસોટી (એકમ કસોટી) અમલમાં છે. રાજ્યકક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની સમિતિની ભલામણ અન્વયે ચાલુ વર્ષ 2025-26 થી સદર એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે ધોરણ 3 થી 8 માં ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે. જે સંદર્ભે નીચેની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.
1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ 3 થી 8 માં દરેક સત્રમાં 15 દિવસના સમયગાળામાં દરેક વિષયની 40-40 ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
2) ચાલુ વર્ષ 2025-26 માં તારીખ 18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2025 દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શકશે.
૩) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
4) શિક્ષકે સદર 40 ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.
7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) પર તા.18/08/2025 ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે.
9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.
10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.
11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામ પત્રકમાં ગણવાના રહેશે.
12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
પ્રથમ સત્રાંત કસોટી 2025
પ્રથમ સત્રાંત કસોટી તા.06/10/2025 થી 14/10/2025 દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે સામેલ છે. સદર કસોટી માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
1) ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે.
2) જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમસત્રનો જૂન થી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
3) સ્વનિર્ભર પ્રાથમિક ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આવેલ માળખા (પરિરૂપ) મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.
4) જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.
5) તમામ વિષયોનાં સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાનાં રહેશે.
6) શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
7) સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
8) જે શાળાઔ શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
9) કરવામાં આવેલ કસોટી પત્રોના છાપકામ, પેપરના પ્રૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
10) ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
11) સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
12) સમાવેશી શિક્ષણ અંતર્ગત પરીક્ષા પત્રક્રમાંક: જીસીઈઆરટી/સીએન્ડઈ/2025/983-1128 09/01/2025 અન્વયે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપેલ સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે.
13) સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
14) કસોટીના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.
15) સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
16) પરીક્ષા અંગેની વખતોવખતની સૂચનાઓ લેવાની રહેશે. પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની તકેદારી રાખવાની રહેશે.